સુરત : સુરતના રાંદેર અને અઠવા ઝોનને જોડતો અતિ મહત્વપૂર્ણ પાલ-ઉમરા બ્રિજ લાઇનદોરીનો અમલ ન થઇ શકવાના કારણે છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી 92 ટકા જેટલો તૈયાર થઇ ગયો હોવા છતાં પૂર્ણ કરી શકાયો ન હતો.આ બ્રિજને નડતરરૂપ હોય તેવી 10 મિલ્કતના માલિકો મનપા વિરુદ્ધ હાઇકોર્ટમાં પણ ગયા હતા. જોકે, તેમાં તે ફાવ્યા ન હતા અને મનપાની તરફેણમાં નિર્ણય આવ્યો હતો.આ 10 મિલ્કતધારકોએ 29મી નવેમ્બર સુધીમાં તેઓ મનપાને કબ્જો સોંપી દેશે તેવી હાઇકોર્ટમાં બાહેંધરી આપી હતી.તેમ છતાં તેઓ ત્યાંથી હટતા ન હતા.આખરે હાઇકોર્ટના દિશાનિર્દેશ મુજબ જ સોમવારે મનપા દ્વારા લાઇનદોરીનાં અમલ માટે આ 10 મિલ્કતોનું ડિમોલિશન હાથ ધરતા આ મિલ્કતધારકોએ તેનો વિરોધ કર્યો હતો. જોકે, ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ લખાઈ રહ્યું છે ત્યારે મનપા દ્વારા કામગીરી શરૂ છે.જોકે, વારંવાર પોલીસની સમજાવટ છતાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેતા 6થી 7 લોકોની અટકાયત કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. સોમવારે ડિમોલિશનની કામગીરી દરમ્યાન રહિશોએ મકાનના બદલે યોગ્ય વળતર ન મળ્યાનો દાવો કરી ભારે વિરોધ કર્યો હતો.મહિલાઓએ ભારે રોકકળ કરી હતી અને આ મકાન સરકારી જમીન પર નહિ અમારા બાપ દાદા ની જગ્યા પર બાંધ્યા હોવાનું સતત જણાવ્યું હતું
આ ડિમોલિશન અંગે મનપા કમિશનરે જણાવ્યું હતું કે આ મિલ્કતધારકોને કારણે આ બ્રિજ 92 ટકા જેટલો બની જવા છતાં અધૂરો પડી રહ્યો હતો.છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી આ બ્રીજનું કાર્ય આગળ ચાલતું ન હતું હવે, હાઇકોર્ટના નિર્દેશ મુજબ જ સોમવારે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી અઢીથી ત્રણ મહિનામાં જ બ્રિજની જે 8 ટકા જેટલી કામગીરી બાકી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે અને આ બ્રિજના નિર્માણ સાથે કે અંદાજે 15 લાખ નાગરિકોને ફાયદો થશે.આ બ્રિજના નિર્માણ સાથે જ રાંદેર, અઠવા સહિતના ઝોનને ફાયદો થશે અને આ વિસ્તારના લોકોને એરપોર્ટ જવામાં સરળતા થશે.
અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ બ્રિજ છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી 92 ટકા જેટલો બની ગયા બાદ આ વિવાદના કારણે પડી રહ્યો હતો અને જેના કારણે બ્રિજની કોસ્ટમાં પણ ભારે વધારો થયો છે. ત્યારે લાંબા સમયથી પડી રહેલા આ બ્રિજના વિવાદના કારણે શાસકપક્ષ પર પણ ભારે પસ્તાળ પડી હતી.ત્યારે હવે હાઇકોર્ટે જ જયારે આ બ્રિજના નિર્માણ આડેની મિલ્કતો હટાવવા નિર્દેશ આપ્યો છે ત્યારે મનપાએ હવે ત્વરિત ગતિથી કામગીરી શરૂ કરી દીધી છે.અને આગામી દિવસોમાં પણ આ કામગીરી જારી રહેશે.આ બ્રિજના નિર્માણ સાથે જ ઉમરા ગામનો પણ વિકાસ થશે અને રાંદેર ઝોનથી એરપોર્ટ તરફ જવા માટે લોકોને ભારે સરળતા રહેશે અને ઇંધણની પણ બચત થશે.